- 11 Apr, 2026
- 129
સિદ્ધપુરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની તકતીનું અનાવરણ, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ
સિદ્ધપુર શહેરના ભીમ ચોક ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરની તકતીનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે માનનીય ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ બાબાસાહેબના જીવન અને કાર્યને યાદ કરીને જણાવ્યું હતું કે, તેમણે સમગ્ર જીવન પીડિત, શોષિત અને વંચિત વર્ગોના હિત માટે સમર્પિત કર્યું હતું. સમાનતા, ન્યાય અને માનવ અધિકારો માટેના તેમના અવિરત સંઘર્ષના પરિણામે દેશને એક મજબૂત અને સમાનતાપૂર્ણ બંધારણ પ્રાપ્ત થયું છે.
વક્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ તકતીનું અનાવરણ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ બાબાસાહેબના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ છે. તેમના આદર્શો આજે પણ સમાજ માટે માર્ગદર્શક બની રહ્યા છે.
કાર્યક્રમ અંતે સર્વે ઉપસ્થિતોએ બાબાસાહેબના દર્શાવેલા માર્ગ પર ચાલી સમાજમાં સમાનતા, એકતા અને વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.






