"ઉપવાસ કરો, શરીર અને મન બંને સ્વસ્થ રહેશે" 

આ કહેવત હવે માત્ર ધાર્મિક માન્યતાઓ સુધી મર્યાદિત રહી નથી. નવીન વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે ઉપવાસ માત્ર આધ્યાત્મિક સાધના નહીં, પણ શરીર અને મગજની અંદર ચાલતી જીવવિજ્ઞાનિક પ્રક્રિયાઓને પણ પ્રેરણા આપે છે.

આજના સમયમાં જ્યાં દર કલાકે કંઇક ખાવાની ટેવ છે, ત્યાં ઉપવાસ કરવો અજીબ લાગતો હોય શકે. પરંતુ, શું તમે જાણો છો કે ઉપવાસ દરમિયાન શરીરમાં ઓટોફેજી અથવા ઓટોફેગોસાયટોસિસ  નામની પ્રક્રિયા સક્રિય થાય છે? આ પ્રક્રિયામાં શરીર જૂના અને નબળા કોષોને નષ્ટ કરીને નવા, તંદુરસ્ત કોષો બનાવે છે. એ રીતે, ઉપવાસ મગજ માટે પણ એક પ્રકારનું “એન્ટી-એજિંગ” ટેક્નોલોજી બની શકે છે!

અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજિંગ દ્વારા કરાયેલ અભ્યાસ મુજબ, ઉપવાસ દરમિયાન શરીરમાં BDNF (બ્રેઈન-ડિરાઈવ્ડ ન્યુરોટ્રોફિક ફેક્ટર) નામનું પ્રોટીન વધુ ઉત્પાદન કરે છે, જે મગજની કોષોની વૃદ્ધિ અને નવી ન્યુરોનલ જોડાણો માટે જવાબદાર છે. તે એકાગ્રતા, યાદશક્તિ અને ભાવનાત્મક સંતુલન વધારવામાં પણ ઉપયોગી થાય છે.

અધ્યયનો સૂચવે છે કે નિયમિત ઉપવાસ આલ્ઝાઇમર અને ડિપ્રેશન જેવા રોગોમાં ઘટાડો લાવી શકે છે.

હવે પ્રશ્ન માત્ર "શું ખાવું?" એ નહીં, પણ "ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું?" એ પણ વિજ્ઞાન આધારિત ચર્ચાનો વિષય બની ગયો છે.

અત્યારે તમે ઉપવાસ કરો કે નહીં, નાસ્તો છોડો કે નહીં — પણ આ માહિતી વાંચ્યા પછી તો ખરેખર વિચાર કરવા જેવું છે કે ઉપવાસ માત્ર ધાર્મિક કાર્ય નથી, પરંતુ વિજ્ઞાન ની દૃષ્ટિએ પણ મગજ માટે લાભદાયી છે.

હવે વિજ્ઞાન પણ કહે છે કે ઉપવાસ = મગજ માટે કુદરતી દવા!

સંકલન : ચેતનસિંહ વાઘેલા

(ડીન , ફેકલ્ટી ઓફ સાયન્સ) 

 

Share :

સંબંધિત સમાચાર